મિત્રો,
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી,
ગાંધીનગર દ્વારા બાળ દિવસની વિશિષ્ટ ઉજવણી નિમિત્તે “બાળ વિકાસ અને મહાનુભાવોનું
યોગદાન” વિષયક ઓનલાઈન ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વીઝમાં ગુજરાતી બાલસાહિત્ય, બાળકોના સર્વાંગી વિકાસ માટે
કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી (બાળકો માટેની વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી), બાળકોની
સાર સંભાળ, મફત અને ફરજિયાત બાળ શિક્ષણ અધિનિયમ- ૨૦૦૯ વિષયક અહી સંદર્ભ સાહિત્ય
આપવામાં આવ્યું છે. જે વાંચીને તેના આધારે ક્વીઝ આપશો.
શુભેચ્છાઓ
સહ...
ડૉ.
ભૈરવી દીક્ષિત
અધ્યક્ષ,
સપ્તધારા વિભાગ,
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગર
બાલસાહિત્ય
ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ
નહેરુ કે જેમને બાળકો ચાચાના નામથી ઓળખે છે. તેમનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ ના રોજ
થયો હતો. તેમના જન્મ દિવસને ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બાળક જેનો ભાવક છે,
બાળમાનસને
જે વ્યક્ત કરે છે અને તેને સંતોષે-આનંદે છે તેવું બાલભોગ્ય ભાષામાં લખાયેલ
સાહિત્ય. લોકસાહિત્ય, પૌરાણિક
સાહિત્ય, પંચતંત્ર-હિતોપદેશ આદિની સામગ્રી પર આધારિત એવી મૌખિક પરંપરા
દ્વારા બાળકને સતત સાહિત્યનો સ્વાદ મળતો રહ્યો હશે. તે ક્યારેય સાહિત્ય વગરનું
રહ્યું નહિ હોય. આજે જેને આપણે બાલસાહિત્ય કહીએ છીએ તેનો પ્રારંભ ચોક્કસ રીતે
ક્યારે થયો એ કહી શકાય તેમ નથી; પણ
મૂળશંકર ભટ્ટે કહ્યું છે તેમ, અર્વાચીન
કેળવણીની આંગળીએ ચાલતાં ચાલતાં ગુજરાતી બાલસાહિત્ય વિકસ્યું છે. એટલે એટલું જરૂર
કહી શકાય કે બાલસાહિત્ય એ અર્વાચીન યુગની નીપજ છે અને તેના પ્રચાર-વિકાસમાં
શિક્ષણ-પ્રણાલિકા, માતાપિતાની
વધેલી સૂઝ-સમજ-સજ્જતા, માનસશાસ્ત્રનો
અભ્યાસ, પત્રકારત્વનો વિકાસ અને ર્દશ્યશ્રાવ્ય માધ્યમોનો પ્રસાર આદિ અનેક
પરિબળોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો છે.
બાળક સંપૂર્ણ અને સ્વતંત્ર વ્યક્તિત્વ
ધરાવે છે અને તેને માટે તેના માનસને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જાવું જોઈએ. આ
વિચાર ગુજરાતમાં ભારપૂર્વક ગિજુભાઈ બધેકા(1885–1939)એ મૂક્યો અને તે સંદર્ભે તેમણે
એવું કાર્ય કર્યું કે ગુજરાતની બાલકેળવણી
અને બાલસાહિત્યની દશા અને દિશામાં આમૂલ પરિવર્તન આવ્યું. આ પરિબળને ધ્યાનમાં રાખી
ગુજરાતી બાલસાહિત્યને કુલ ત્રણ તબક્કામાં વહેંચી શકાય : (1) ગિજુભાઈ પૂર્વેનું
બાલસાહિત્ય, (2) ગિજુભાઈ અને તેમના સમકાલીનોનું
બાલસાહિત્ય અને (3) સ્વાતંત્ર્યોત્તર કાળનું બાલસાહિત્ય. આ ત્રણેય કાળમાં કાવ્ય,
વાર્તા/કથા,
નાટક
અને ચરિત્ર એ મુખ્ય સ્વરૂપોમાં કેવું કામ થયું છે તે જોવું જોઈએ.
ગિજુભાઈ પૂર્વે સભાનપણે અને
રસ-સૂઝ-સમજપૂર્વક ખાસ કોઈએ કામ કર્યું નથી. આ બાલસાહિત્યનો પ્રારંભ
ભાષાંતર-રૂપાન્તરથી, અનુવાદથી
થયો છે. 1831માં મંસ્યર બર્કલીનના ફ્રેન્ચ પુસ્તકના ‘Children’s
Friend’ નામના અંગ્રેજી અનુવાદ પરથી થયેલા મરાઠી ભાષાંતરનું ગુજરાતીમાં
‘બાલમિત્ર’ નામે થયેલું ભાષાંતર આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે. અલબત્ત,
એ
પહેલાં અને તે પછીના નજીકના સમયમાં જ આપણા કેટલાક રસાત્મક અને કથાત્મક,
બોધાત્મક
ને પ્રેરણાદાયી પ્રાચીન ગ્રંથોના અને પશ્ચિમના ગ્રંથોના અનુવાદ થયા હતા. અલબત્ત તે
માત્ર બાળકોને અનુલક્ષીને જ કરાયેલા નહોતા,
પરંતુ
તેમાંનું કેટલુંક સાહિત્ય બાળકોએ માણ્યું હતું.
રામાયણ-મહાભારત-પંચતંત્ર-હિતોપદેશમાંથી,
તો
બીજી બાજુ ઈસપની વાતો, ગુલિવરની
મુસાફરીની કે સિંદબાદની સફરોની વાતો, અરેબિયન
નાઇટ્સની કથાઓ આદિનાં ભાષાંતરો થયાં. આમ બાલસાહિત્યની જરૂરિયાતના પ્રશ્નને મોટાંઓ
માટેના સાહિત્યમાંથી બાળકોને રસ પડે તેવાં કથાનકોનાં સરળ અનુવાદચયનો દ્વારા કેટલેક
અંશે ઉકેલવાનો પ્રયાસ થયો. વળી, આ
દરમિયાન લોકકંઠેથી ઊતરી આવેલા કથાત્મક-રસાત્મક સાહિત્યને બાલભોગ્ય રીતે ઢાળીને રજૂ
કરવામાં આવ્યું.
1921થી 1940 સુધીનો બીજો તબક્કો ગુજરાતી
બાલસાહિત્યનો સુવર્ણયુગ લેખાય. ‘દક્ષિણામૂર્તિ’,
‘ગાંડીવ’, ‘બાલજીવન’
અને ‘બાલવિનોદ’ જેવી સંસ્થાઓ નિમિત્તે ગિજુભાઈ,
તારાબહેન,
જુગતરામ
દવે, નટવરલાલ માળવી, હરિપ્રસાદ
વ્યાસ, રમણલાલ ના. શાહ, નાગરદાસ
ઈ. પટેલ વગેરેએ સત્ત્વશીલ કાર્ય કર્યું. આ ઉપરાંત હંસાબહેન મહેતા,
કેશવપ્રસાદ
છો. દેસાઈ, ચંદ્રશંકર મ. ભટ્ટ, મનુભાઈ
જોધાણી, ભીખાભાઈ વ્યાસ, વસંત
નાયક, ‘સુન્દરમ્’,
ત્રિભુવન
વ્યાસ, રમણલાલ સોની, જીવરામ
જોષી, ધનંજય શાહ, પ્રાગજી
ડોસા, ધીરજલાલ ટો. શાહ, પુરાતન
બૂચ, શારદાપ્રસાદ વર્મા, દિનુભાઈ
જોશી અને અનેક સત્વશીલ કવિઓ-લેખકોએ પણ બાલસાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોને સમૃદ્ધ
કરવામાં ધ્યાનાર્હ પ્રદાન કર્યું છે. આ ગાળા દરમિયાન બાલસાહિત્યનો અનેકદેશીય વિકાસ
સધાયો છે.
ડહોળાયેલી સામાજિક-રાજકીય પરિસ્થિતિને
કારણે પાંચમા દાયકામાં બાલસાહિત્યનો પ્રવાહ કંઈક ક્ષીણ થઈ ગયેલો જોવા મળે;
પણ
સ્વાતંત્ર્યોત્તર કાળના તેના ત્રીજા તબક્કામાં માતાપિતાની સજ્જતા,
મુદ્રણકળાનો
વિકાસ, રાજ્ય તથા ભારત સરકારની પ્રમાણમાં ઉદાર સહાય વગેરે અનેક કારણોને
લીધે બાલસાહિત્ય પુન: સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આમ ગુજરાતી બાલસાહિત્ય ગુણવત્તા અને
વિપુલતાનાં ઊંચાં શિખરો સર કરે છે ત્રીજા-ચોથા દાયકામાં અને છઠ્ઠાથી આઠમા
દાયકામાં. અલબત્ત, આ
બંને તબક્કાઓમાં પ્રાપ્ત બાલસાહિત્યના આંતરબાહ્ય રૂપમાં કેટલોક ભેદ જરૂર છે. જે
વિશુદ્ધ બાલપ્રીતિ અને ભાવના-ભક્તિ ત્રીજા-ચોથા દાયકાના લેખકોમાં હતી તેનું સ્થાન
પછી કંઈક અંશે વેપારીવૃત્તિ અને પ્રસિદ્ધિનો લોભ લે છે. જો સત્ત્વશીલતા
ત્રીજા-ચોથા દાયકાના બાલસાહિત્યનો સદ્ય સ્પર્શી જાય તેવો ગુણ છે તો બાહ્ય પરિવેશની
આકર્ષકતા અને સચિત્રતા સ્વાતંત્ર્યોત્તર કાળના બાલસાહિત્યનો ગુણ છે.
કાવ્યસંદર્ભે સમગ્ર બાલસાહિત્ય ભણી નજર
નાંખીએ છીએ તો આનંદ થાય તેવું કાર્ય થયું છે. નરસિંહ,
પ્રેમાનંદ
કે શામળની કૃતિઓ કે કૃતિઅંશો તેમજ દલપતરામની કેટલીક કૃતિઓ બાળકોએ માણી છે.
ન્હાનાલાલ, નરસિંહરાવ, ખબરદાર
કે લલિત વગેરેએ પણ કેટલાંક સુંદર બાળકાવ્યો આપ્યાં છે. ત્રિભુવન ગૌ. વ્યાસ
બાલભોગ્ય વિષય, બાલસહજ ભાવ-શબ્દોની પસંદગી,
રમતિયાળ
અને ચિત્રાત્મક શૈલીથી બાલસાહિત્યના એક ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા છે.
લોકસાહિત્યનો વારસો ઝીલી, હૂંફાળા
શબ્દો દ્વારા વિનોદ સાથે વીરરસ પીરસતા ઝવેરચંદ મેઘાણી;
લયહિલ્લોળવાળાં,
ગેયતાપૂર્ણ
અને બાલભોગ્ય કલ્પનાઓથી રમણીય બનેલાં બાલકાવ્યો આપનાર ‘સુન્દરમ્’;
અર્થ
કરતાં શબ્દલયમાંથી ચિત્ર દોરનાર અને શિશુના ચિત્તની મન:સ્થિતિઓનું સુંદર આલેખન
કરનાર દેશળજી પરમાર અને વસંત નાયક; ભરપૂર
વિનોદ, કથાત્મકતા વગેરેનો અનુભવ કરાવતાં ગીતો-કથાગીતો આપનાર રમણલાલ પી. સોની;
લયહિલ્લોળથી
બાળકોને કંઠસ્થ થાય તેવાં કાવ્યો આપનાર સોમાભાઈ ભાવસાર બાળપ્રિય કવિઓ છે.
આ ઉપરાંત મકરન્દ દવે,
બાલમુકુન્દ
દવે, કૃષ્ણલાલ શ્રીધરાણી, રમણીક
અરાલવાળા, હસિત બૂચ, પિનાકિન
ઠાકોર, ‘સ્નેહરશ્મિ’,
ઉમાશંકર
જોશી, રાજેન્દ્ર શાહ જેવા આપણા અનેક કવિઓએ પણ સુંદર બાળકાવ્યો આપ્યાં છે.
1960 સુધીમાં આમ કેટલુંક સારું કામ થયેલું જોવા મળે છે. આ અરસામાં ચંદ્રવદન મહેતાએ
આપેલા ‘ચાંદરણા’ કે ‘ચાંદાપોળી’, ‘દૂધના
દાણા’નો સ્વાદ માણવા જેવો છે. ‘ઇટ્ટા કિટ્ટા’,
‘છાકમ છલ્લાં’ વગેરે સંગ્રહોમાં સુરેશ દલાલે આધુનિક જીવનસંદર્ભની
છબી ઝીલી છે તેમજ તેમની પ્રયોગશીલતા પણ અહીં વ્યક્ત થઈ છે. ઈ.સ. 1979નું વર્ષ
‘આંતરરાષ્ટ્રીય શિશુવર્ષ’ તરીકે ઊજવાયેલું. આ વર્ષે ‘કવિલોક’,
‘નવનીત-સમર્પણ’ વગેરેના ખાસ શિશુબાલકાવ્યોના વિશેષાંકો પ્રગટ થયા. આ
જ અરસામાં ‘ચાંદલિયાની ગાડી’ દ્વારા ચંદ્રકાન્ત શેઠે બાળકોને ભાષા-લયનો સ્વાદ
આપતાં, તેમનો જિજ્ઞાસારસ ને ક્રીડારસ સંતોષે એવાં બાલકાવ્યો આપ્યાં. ઊંચી
કક્ષાના ભાવરસ-આનંદરસના હિલ્લોળાઓને કારણે ‘હાઉક’,
‘ચીં’ જેવા સંગ્રહોમાંનાં રમેશ પારેખનાં કાવ્યોની બાલભોગ્યતા
સ્વયંસ્પષ્ટ છે. આ ઉપરાંત રક્ષા દવે, ધીરુબહેન
પટેલ, રઘુવીર ચૌધરી, હરિકૃષ્ણ
પાઠક, પ્રીતમલાલ મજમુદાર, કરસનદાસ
લુહાર, કિરીટ પુરોહિત, માણેકલાલ
પટેલ, નટવર પટેલ વગેરેનું કાર્ય નોંધપાત્ર છે. તેમાંય રમેશ ત્રિવેદીએ
ચાર-પાંચ સત્વશીલ બાલકાવ્યસંગ્રહો દ્વારા પોતાનું સ્થાન સ્થિર કરી દીધું છે. આજે
પણ ધીરેન્દ્ર મહેતા, સુશીલા
ઝવેરી, ઍની સરૈયા, અમૃતલાલ
પારેખ, બલદેવ પરમાર, પ્રભુલાલ
દોશી વગેરેનું કાર્ય ઠીકઠીક ધ્યાન ખેંચ્યા કરે એવું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં રમણલાલ સોનીનો
‘ખદુક, ઘોડા, ખદુક
!’ નામે મૌલિક બાલકથાકાવ્યોનો સંગ્રહ તેનાં વિષય,
રીતિ,
લય
વગેરેને કારણે ખાસ નોંધપાત્ર છે.
બાલસાહિત્યમાં બાલકથા શિક્ષણનું મહત્વનું
સાધન ગણાતું હોઈ તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો જોવા મળે છે. ગિજુભાઈના આગમન પહેલાં
ઘણાં રૂપાન્તરો-અનુવાદો થયાં હતાં. આપણા પ્રાચીન ગ્રંથોના અનુવાદો ઉપરાંત જે મહત્વના
પ્રયત્નો આ દિશામાં થયા છે તેમાંનો એક છે શૃંગાર અનુભાઈ નીલકંઠે આપેલ ‘ટૂંકી
કહાણીઓ’-(1881)નો, જે
‘ચેમ્બર્સ શૉર્ટ સ્ટૉરિઝ’માંની 118 ભાષાંતરિત વાર્તાઓના સંચયરૂપ છે. ઇચ્છારામ સૂ.
દેસાઈ પાસેથી ‘ઈવનિંગ ઍટ હોમ’નું ‘બાળકોનો આનંદ’ નામે ભાષાંતર મળે છે,
તો
જયસુખલાલ જોષીપુરા પાસેથી લૂઈસ કૅરલના ‘Alice in the
Wonderland’નું ‘અલકાનો અદભુત પ્રવાસ’ નામે રૂપાન્તર મળે છે. હરગોવિંદદાસ
કાંટાવાળા ‘ટચૂકડી સો વાતો’ના 6 ભાગ દ્વારા ગુજરાતી બાલકથાસાહિત્યને માતબર બનાવે
છે. મંછારામ ઘેલાભાઈ કેટલીક પ્રચલિત વાર્તાઓનું ‘મૂરખો’માં સંપાદન કરી આપે છે.
શારદા મહેતા પૌરાણિક કથાઓ અને કલ્યાણરાય
જોશી ‘વિજ્ઞાનની વાતો’ આપે છે.
ગિજુભાઈએ બાળકેળવણી અને બાળસાહિત્યની
અનિવાર્યતા પારખી, લોકપ્રચલિત
કે લોકભોગ્ય સાહિત્યમાંથી–લોકસાહિત્યમાંથી વીણીવીણીને બાલભોગ્ય કથાઓની પાંચ
નમૂનેદાર ચોપડીઓ 1922માં આપી. તેમણે ‘વાર્તાનું શાસ્ત્ર’ પણ રચી આપ્યું. નાનાભાઈ
ભટ્ટે ‘મહાભારત-રામાયણનાં’ પાત્રો અને ‘હિંદુ ધર્મની આખ્યાયિકાઓ’ આપી. તારાબહેન
મોડક, હરભાઈ ત્રિવેદી, જુગતરામ
દવે, મોંઘીબહેન, જસોદાબહેન,
રા.
ના. પાઠક, કમળાબહેન, હેમુભાઈ,
ગિરીશભાઈ
વગેરેએ પણ બાલસાહિત્યમાં પ્રદાન કર્યું. આમ એક બાજુથી ભાવનગરની આ ‘દક્ષિણામૂર્તિ’
દ્વારા લગભગ 150 જેટલાં પુસ્તકો ગુજરાતી બાલસાહિત્યને પ્રાપ્ત થયાં તો સૂરતમાં
સ્થપાયેલ ‘ગાંડીવ’ સંસ્થા દ્વારા નટવરલાલ માળવી અને ઈશ્વરલાલ વીમાવાળા તરફથી પણ
શુદ્ધ બાલસાહિત્ય પ્રાપ્ત થવા માંડ્યું. ઈશ્વરલાલ વીમાવાળાએ સાહસ અને વિજ્ઞાનની,
નટવરલાલે
દેશપરદેશની કથાઓને આધારે રૂપાંતરિત અને હરિપ્રસાદ વ્યાસે ‘બકોર પટેલ’ના 30 ભાગ
નિમિત્તે ગુજરાતી બાલજગતને મનોરંજનની ચિરંજીવ કથાઓ આપી. ‘ગાંડીવ’ દ્વારા બાળકોને
અનુલક્ષીને થયેલાં વિષયવૈવિધ્ય ધરાવતાં આ સચિત્ર પ્રકાશનો ગુજરાતી બાલસાહિત્યનું
એક સુવર્ણપૃષ્ઠ છે. આ જ અરસામાં ‘બાલજીવન’ અને ‘બાલવિનોદ’ નિમિત્તે રમણલાલ ના. શાહ,
નાગરદાસ
ઈ. પટેલ, સુમતિ ના. પટેલે દેશવિદેશની પૌરાણિક તથા અન્ય કથાઓને રોચક શૈલીમાં
બાળકો આગળ મૂકી. આ ઉપરાંત મેઘાણીએ જીવંત પાત્રાલેખન અને લોકવાણીની સમૃદ્ધિનું
દર્શન કરાવતી વાર્તાઓ આપી. હંસાબહેન મહેતાએ ‘બાલવાર્તાવલી’,
‘અરુણનું અદભુત સ્વપ્ન’, ‘બાવલાનાં
પરાક્રમો’ જેવાં પુસ્તકો આપ્યાં. ‘બાલમિત્ર’ના તંત્રીપદે કામ કરતાં ચંદ્રશંકર મ.
ભટ્ટે ‘બાલમિત્રની વાતો’, ‘સિન્દબાદ
શેઠ’, ‘કુમાર વીરસેન’ અને અન્ય અનેક
સંગ્રહો આપ્યા. ભીખાભાઈ પુ. વ્યાસ, ‘જયભિખ્ખુ’,
બચુભાઈ
રાવત, હિંમતલાલ ચૂ. શાહ, નિરંજન
વર્મા, જયમલ્લ પરમાર આ સમયના અન્ય ઉલ્લેખપાત્ર સર્જકો છે. જયમલ્લ પરમારે
તો ‘શેખચલ્લી’ જેવું સુંદર પાત્ર આપી બાળકોને હસાવ્યાં પણ છે. રમણલાલ સોની અને
જીવરામ જોષીનું ચોથા-પાંચમા દાયકાથી પ્રારંભાયેલું કામ આજે (ઈ. સ. 2000) પણ ચાલુ જ
છે. વિપુલ બાલસાહિત્ય આપનારા આ બંને સર્જકો પાસેથી કેટલાંક વિશિષ્ટ પાત્રો પણ
મળ્યાં છે. ‘ગલબા શિયાળ’ નિમિત્તે રમણલાલ સોનીએ એક વિશાળ પ્રાણીસૃષ્ટિ ઊભી કરી છે,
તો
બીજે છેડે વિશ્વની લોકકથાઓ પણ બાળકો સુધી પહોંચાડી છે. જીવરામ જોષીએ છકો-મકો,
છેલ-છબો,
અડૂકિયો-દડૂકિયો
જેવી પાત્રપ્રધાન લાંબી કથાઓ આપી છે. તેમની ‘મિયાં-ફૂસકી’ની કથામાળા પણ બાલજગતમાં
તેમનું નામ તરતું રાખી શકે તેમ છે. મૂળશંકર ભટ્ટે જુલે વર્નની વિજ્ઞાનમૂલક
સાહસકથાઓનાં અનુવાદો-રૂપાંતરો દ્વારા કિશોરમાનસની જ્ઞાન અને સાહસવૃત્તિ સંતોષવાનું
કામ કર્યું છે.
સ્વતંત્રતા પછીયે બાલકિશોરકથાનું ક્ષેત્ર
સતત ખેડાતું રહ્યું છે. સ્વરૂપગત અને વિષયગત ર્દષ્ટિએ ત્રીજા-ચોથા દાયકામાં જે
નહોતું તેવું કેટલુંક બાલકિશોરકથાઓમાં આ પછીના કાળમાં પ્રગટેલું જોવા મળે છે. જેમ
કે, રહસ્યગર્ભ-ડિટેક્ટિવ કથાઓ,
વૈજ્ઞાનિક
શોધો પર નિર્ભર દરિયાઈ-અવકાશી સાહસોની કથાઓ,
સાંપ્રત
જીવન સાથે સંબદ્ધ વિજ્ઞાનકથાઓ, પર્યાવરણ-વિષયક
કથાઓ, બાલકિશોર-જીવનની બદલાયેલી માનસિક અને સામાજિક ભૂમિકા-સ્થિતિને
સ્પર્શતી વાસ્તવનિષ્ઠ કથાઓ, રાષ્ટ્રીય
ભૂમિકાએ નોંધપાત્ર સેવાપ્રદાન કરનારાં વીર અને અપંગ બાળકોની પ્રતિભાને બિરદાવતી
કથાઓ, આધુનિક મુદ્રણકલાનો લાભ લઈ તૈયાર થયેલી ચિત્રકથાવલિઓ અને ડાયરીના
સ્વરૂપમાં (‘મૃત્યુ મરી ગયું રે લોલ’, લે.
હરીશ નાયક) રજૂ થયેલી બાલસંવેદનની કથાઓ – આ બધું છેલ્લા બે-ત્રણ દાયકાનું રળતર છે.
આ ગાળાની બીજી નોંધપાત્ર ઘટના તે એ કે મૌલિક સાહિત્ય તરફ ઝોક વધતો જાય છે. આ બધા
સંદર્ભે હરીશ નાયક, યશવંત
મહેતા, રતિલાલ નાયક, રક્ષા
દવે, યશવંત કડીકર, યજ્ઞેશ
દવે, વંદના સોલંકી, બાબુભાઈ
જોષી, શાંતા ગાંધી, સુશીલા
ઝવેરી, કપિલા ઠાકોર, નટવર
પટેલ, રમેશ ત્રિવેદી, અરુણિકા
દરુ, ઉદયન ઠક્કર, પ્રભુલાલ
દોશી, શ્રીકાંત ત્રિવેદી, ધીરજલાલ
ગજ્જર, કનૈયાલાલ રામાનુજ, ગિરીશ
ગણાત્રા, બંસીધર શુક્લ, નગેન્દ્રવિજય,
કિશોર
પંડ્યા, નગીન મોદી, બિપિન
પટેલ, ઈશ્વર પરમાર, સાકરચંદ
સાહેબ, કુમારપાળ દેસાઈ, કનૈયાલાલ
જોશી, લાભુબહેન મહેતા, જયવતી
કાજી, શ્રદ્ધા ત્રિવેદી વગેરેનાં કાર્ય નોંધપાત્ર છે. આ અરસામાં
પાત્રપ્રધાન કથાઓ પણ વિપુલ પ્રમાણમાં મળી છે,
જેમાં
મધૂસુદન પારેખ, ધનંજય શાહ, ચંદ્રકાન્ત
અમીન, હરીશ નાયક એક કે વધુ પાત્રને કેન્દ્રમાં રાખી કથાઓ કે કથામાળાઓ આપે
છે. આ કથાઓમાં કેટલાંક પાત્ર હાસ્ય, કેટલાંક
ચતુરાઈ અને કેટલાંક સાહસનું નિમિત્ત બન્યાં છે. સાથે સાથે કેટલાક સનાતન
કથાસ્રોતોને આધારે પ્રારંભથી આજ સુધી કથાઓ રચાતી રહી છે. પ્રાણીકથાઓ નિમિત્તે
બાળકોને બોધ આપવાનું વલણ ‘પંચતંત્ર’થી પોષાતું રહ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક
સમયથી શુદ્ધ પ્રાણીકથાઓ પણ મળી છે. પ્રાણીઓના જીવનને અનુલક્ષતી,
પ્રાણીઓના
ચિત્તની વિવિધ ભૂમિકાઓ નિર્દેશતી શુદ્ધ પ્રાણીકથાઓ મનુભાઈ જોધાણી,
વિજયગુપ્ત
મૌર્ય, નાનુભાઈ સુરતી, કનૈયાલાલ
રામાનુજ, હરજીવન સોમૈયા, વસંતલાલ
પરમાર વગેરે પાસેથી મળી છે. તેમાંય વિજયગુપ્ત મૌર્ય પાસેથી મળેલ ‘સરકસ ડૉક્ટરનાં
રોમાંચક સાહસો’ કૃતિ તો છેલ્લા દાયકાની એક વિશિષ્ટ પ્રાણીકથા બની રહે છે.
બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે
બાલસાહિત્ય નિમિત્તે બાળકોને કથારસ તો પહોંચાડાય જ છે. સાથે જીવંત ભાષાનો પરિચય
કરાવવાનો પ્રયત્ન પણ થાય છે. શબ્દભંડોળ, રૂઢિપ્રયોગો,
કહેવતો,
વાક્યના
વિવિધ વિન્યાસો, શબ્દસંગીત કે નાદસૌંદર્ય – આ બધી રીતે પણ સર્જકોએ આ ક્ષેત્રે કામ
પાડ્યું છે. ગિજુભાઈએ આવી સજાગતા દાખવી જ હતી. ઉમિયાશંકર ઠાકરે ‘કલ્પવૃક્ષ’માં
સુંદર વર્ણકથાઓ આપેલી છે. અનિલ જોશીનો આવો જ પ્રયત્ન ‘ચકલી બોલે ચીં….. ચીં…..
ચીં’માં છે. લાભશંકર ઠાકર, ઘનશ્યામ
દેસાઈ, ઈશ્વર પરમાર (‘બહુબીન’માં ખાસ),
રક્ષા
દવે, રતિલાલ નાયક, શ્રદ્ધા
ત્રિવેદી વગેરેના પ્રયત્નો પણ આ સંદર્ભે મહત્વના છે.
‘લાઠાદાદાની
બાળવારતાઓ’(1994)ના પાંચ ભાગમાં બાળકોને ગુજરાતી ભાષાનું લાલિત્ય માણવા મળે છે
તેમજ તરેહ-તરેહના વાક્યવિન્યાસો જાણવા મળે છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં કથા ઉપરાંત
કથામાળાઓનો પ્રચાર વધતો રહ્યો છે. હરીશ નાયકે ‘અંગૂઠા વગરનો એકલવ્ય’ કે ‘નારદજી
નવી દુનિયામાં’ જેવી કથામાળામાં પૌરાણિક પાત્રોને નવી નજરે જોવાનો પ્રયાસ કર્યો
છે. યશવંત મહેતાએ પણ બાલકિશોરોની જરૂરિયાત સમજીને અનેક વિષયોની અનેક કથાઓ આપી છે.
બાલસાહિત્યને બાલપ્રિય બનાવવામાં ચિત્રકારોનો ફાળો પણ નોંધપાત્ર છે.
રવિશંકર રાવળથી માંડી
સોમાલાલ શાહ, રજની વ્યાસ, ‘ચકોર’,
આબિદ
સુરતી, નટુ મિસ્ત્રી, રમેશ
કોઠારી, વી. રામાનુજ, લલિત
લાડ, નિર્મલ સરતેજા વગેરે ચિત્રકારોએ બાલકથાસાહિત્યને પોતાની શક્તિનો
લાભ આપ્યો છે. ચિત્રકથાઓનો પ્રવાહ પણ ‘રમકડું’થી આજ સુધી વહેતો જોવા મળે છે. એ જ
રીતે બાલનવલો પણ ચંદ્રશંકર ભટ્ટ, હંસા
મહેતા, ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર,
કેશવપ્રસાદ
છો. દેસાઈ, હરિકૃષ્ણ પાઠક અને મનોહર ત્રિવેદી પાસેથી મળી છે.
બાલકાવ્ય અને બાલકથાના
મુકાબલે બાલનાટ્ય ક્ષેત્રે ઘણી મંદી લાગે. ગિજુભાઈ પહેલાં કોઈ નોંધપાત્ર બાલનાટક
ક્યાંય ઉલ્લેખાયું નથી. ‘દક્ષિણામૂર્તિ’ નિમિત્તે એમણે બાળકો ભજવી શકે તેવાં નાટકો
બે ભાગમાં પ્રકાશિત કર્યાં. જુગતરામ દવેએ ‘આંધળાનું ગાડું’,
‘ગાલ્લી મારી ઘરરર જાય’
જેવાં નાટકો આપી આ ક્ષેત્રમાં સુંદર ભૂમિકા ઊભી કરી. એ જ અરસામાં ‘ગાંડીવ’
તરફથી બાળકો માટેની નાટ્યશ્રેણી ‘ચાલો ભજવીએ’ પ્રકટ થઈ. આજ સુધી પ્રકટેલાં સારાં
બાલનાટકોનો વિચાર કરીએ તો તેમાં જયંતિ દલાલનાં ‘રંગતોરણ’,
‘રંગદ્વાર’ આદિ, કિસ્મત
કુરેશીનું ‘ઈશ્ર્વરનું મંદિર’, ગૌરીશંકર
ચતુર્વેદીનાં ‘બાળકોનો બાંધવ’, ‘બાળકોનો
બેલી કોણ ?’, જેઠાલાલ ચૌધરીનાં ‘અંતરનાં
અજવાળાં’, ‘બાળકોનું બલિદાન’,
‘ભોળી સુભદ્રા’ વગેરે નોંધપાત્ર છે.
મુંબઈ ખાતે પ્રાગજીભાઈ
ડોસાએ છેલ્લા શ્વાસ સુધી બાલનાટ્યની સેવા કરેલી. દુર્ગેશ શુક્લ,
કૃષ્ણલાલ
શ્રીધરાણી, હરીશ નાયક જેવાના પ્રદાનના સંદર્ભમાં યશવંત પંડ્યાનાં ‘બાળનાટકો’
વધુ ચઢિયાતાં ગણી શકાય. શ્રીપાલ થિયેટર દ્વારા પોતાની વાર્તાઓનાં નાટ્યરૂપાન્તરો
કરી જીવરામ જોષીએ બાળકોનો આદર મેળવ્યો છે. શાંતા ગાંધીનાં ‘આ રોટલી કોણ ખાશે ?’,
‘એકલવ્ય’, ‘જીવ
અને સજીવ’ તથા ‘પુસ્તકરાજ’ અને લીના મંગલદાસનાં ‘આસમાની ચલ્લી’,
‘બાલભારત’, ‘ઈસુનું
જીવનદર્શન’ ભજવવા માટે લખાયેલાં અને સારી રીતે ભજવાયેલાં નાટકો છે. આ ઉપરાંત
પ્રકાશ લાલા, ચં. ચી. મહેતા, જ્યોતિર્
રાવળ, ઇન્દુ પુવાર, નટવર
પટેલ, નિરંજના વોરા, શ્રદ્ધા
ત્રિવેદી વગેરેનાં કેટલાંક નાટકો રેડિયો, ટી.વી.
કે રંગભૂમિ પર ભજવાયાં છે અથવા ભજવી શકાય એવાં છે. રમણલાલ સોનીનું આ ક્ષેત્રે પણ
નોંધપાત્ર પ્રદાન છે. જનક દવેનું ‘રંગલો ચાલ્યો ફરવા’ સરળ રજૂઆત અને મંચનક્ષમતાને
લીધે ધ્યાનપાત્ર છે. તેમણે ગિજુભાઈના ‘મા-બાપ થવું આકરું છે’માંના લેખોનું ‘નાટક
ખેલે બાલ-ગોપાલા’માં કરેલું ભવાઈ શૈલીનું નાટ્યરૂપાંતર ખાસ ઉલ્લેખનીય છે તો
‘બાળનાટ્ય દિગ્દર્શનકલા’ નામક પુસ્તિકામાં તેમણે બાલનાટ્યની સૈદ્ધાંતિક ચર્ચા કરી
છે. શ્રી અમૂલખ ભટ્ટ ‘કલરવ’ સંસ્થા દ્વારા બાળકોને અભિનયની તાલીમ અને લેખકોને
લેખનની તક આપે છે.
બાલનાટકની સરખામણીમાં બાલભોગ્ય ચરિત્રોનો
પ્રવાહ વધુ સમૃદ્ધ છે. બાલકથાની જેમ તેનો પ્રારંભ પણ ભાષાંતરથી થયો છે. પ્રાણલાલ
મથુરદાસ અને આનંદરાવ ચાંપાજીએ રૉબર્ટસનના અંગ્રેજી પુસ્તકના તરજુમારૂપે આપેલું
‘કોલંબસનો વૃત્તાંત’ (1839) પહેલું ભાષાંતરિત જીવનચરિત્ર ગણાય છે. એ પછી કેટલાંક
બાલોપયોગી ચરિત્રો મળ્યાં છે, પણ
તે બાલભોગ્ય રીતે લખાયેલાં નથી. છેક ગિજુભાઈ પાસેથી ‘કથાનાટ્ય ગ્રંથમાળા’ નિમિત્તે
‘શિવાજી મહારાજ’, ‘હરિશ્ચંદ્ર’,
‘બુદ્ધચરિત્ર’, ‘ગોપીચંદ’
– જેવાં નવી ભાત પાડતાં ખરેખરાં બાલભોગ્ય ચરિત્રો મળ્યાં છે. એ જ રીતે જુગતરામ
દવેએ આપેલું ‘બાળકોના ગાંધીજી’ ભાષા અને રજૂઆત-રીતિથી બાળકોને આકર્ષે તેવું બન્યું
છે. વળી શારદાપ્રસાદ વર્માએ પણ અનેક ચરિત્રકથાઓ આપી છે. ‘આદર્શ ચરિત્રાવલિ’
નિમિત્તે બાળકોને મહાપુરુષોનાં ચરિત્ર આપવાનો પ્રયત્ન ધીરજલાલ ભટ્ટ દ્વારા થયો છે.
પણ તે માત્ર બાળકોને જ કેન્દ્રમાં રાખી લખાયાં નથી. ધીરજલાલ ટોકરશી શાહે
ચારિત્ર્ય-ઘડતરના હેતુથી ‘બાલગ્રંથાવલિ’ અને ‘કુમાર ગ્રન્થમાળા’ નિમિત્તે ઘણાં
ચરિત્રો આપ્યાં છે. નાગરદાસ ઈ. પટેલ (‘મીરાંબાઈ’,
‘નરસૈયો’ વગેરે) અને પુરાતન બૂચ (‘આપણા સરદાર’,
‘આપણા જવાહર’ વગેરે) તેમની રસિક રજૂઆતથી અને મનુભાઈ જોધાણી લુપ્ત
થતા જતા ગ્રામવ્યવસાયો અને વ્યવસાયીઓનાં સુંદર શબ્દચિત્રોથી (‘જનપદ’,
1થી
3) ધ્યાનપાત્ર છે. ભાષા થોડી અઘરી પડે, છતાં
ડુંગરસી ધરમશી સંપટનો ‘બાલ સંસ્કારમાળા’ નિમિત્તે આ ક્ષેત્રનો પ્રયાસ પણ ઉલ્લેખનીય
છે. ‘સયાજી બાલજ્ઞાનમાળા’ નિમિત્તે દેશભક્તો અને ઐતિહાસિક વ્યક્તિઓનાં અધિકારી
લેખકો દ્વારા થયેલાં ચરિત્રનિરૂપણો એક સબળ પ્રકાશન છે. ‘બાલભારતી
પુસ્તકશ્રેણી’(1975)માં જુદા જુદા લેખકો પાસેથી જુદા જુદા ક્ષેત્રનાં મહાન
નરનારીઓનો સુભગ પરિચય કરાવવામાં આવ્યો છે. આ બધામાં વલ્લભદાસ અક્કડ પાસેથી મળેલ
‘કવિઓ અને વિદ્વાનો’ (1962) તેમાંના વર્ણ્ય-વિષયને કારણે અલગ તરી આવીને ધ્યાનપાત્ર
બને છે.
મહામાનવો અને
વૈજ્ઞાનિકોનાં ચરિત્રો પૂરતા પ્રમાણમાં મળ્યાં છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પણ આ
ક્ષેત્રે સક્રિય છે. ચરિત્રોની શ્રેણીઓમાં રાજકીય,
સામાજિક,
ધાર્મિક,
કલા,
સાહિત્ય
અને વિજ્ઞાન આદિ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનારના જીવનસંઘર્ષો અને સિદ્ધિઓનું
આલેખન થાય છે જે બાળકો-કિશોરો માટે પ્રેરણાબળ બની
રહે છે. જયભિખ્ખુ, ભોગીલાલ
ગાંધી, મનુબહેન ગાંધી, ર.
પી. સોની, સત્યમ્, ધીરજલાલ
ગજ્જર, મનુભાઈ ભટ્ટ, વીણા
શાહ, ઉપેન્દ્ર ભટ્ટ, ગોપાલદાસ
પટેલ, મુકુલભાઈ ‘કલાર્થી’ વગેરેનું પ્રદાન ઉલ્લેખનીય છે. પણ રોચક શૈલી,
માહિતી
અને ચિત્રાત્મક રજૂઆતથી ઉષા જોશી, યશવંત
મહેતા અને વસંત નાયકનાં ચરિત્રાત્મક પુસ્તકો ઠીક ઠીક આકર્ષક બન્યાં છે. ઉષાબહેને
પિતા ધૂમકેતુના ‘જીવનઘડતરની વાતો’ના 11 ભાગ તો આપ્યા છે,
તે
ઉપરાંત ઇંદિરા ગાંધી, વિક્રમ
સારાભાઈ, સરદાર, રાજા
રામન્નાનાં ચરિત્રો પણ આપ્યાં છે. ભારતની પહેલી સ્ત્રી પાઇલટ પ્રેમ માથુરનું વસંત
નાયકે ‘પહેલી પાયલટ’માં સુંદર ચિત્રણ કર્યું છે. યશવંત મહેતાએ ‘મહાન મહિલાઓ’,
‘ભગિની નિવેદિતા’, ‘વિજ્ઞાનના
મરજીવા’, ‘મહાન મુસાફરો’ વગેરેમાં રસાળ
ચરિત્રો આપ્યાં છે. ધનવંત ઓઝાએ એક સો વીસ જેટલાં ચરિત્રો આપી આ ક્ષેત્રે અમૂલ્ય
સેવા બજાવી છે.
ગિજુભાઈએ નિબંધક્ષેત્રે પણ નોંધપાત્ર
કાર્ય કરેલું. એ પછી ઇયત્તાની ર્દષ્ટિએ કોઈએ એવા નિબંધો આપ્યા જણાતા નથી. અલબત્ત,
1989માં
યોગેશ જોશીમાં તેનું કંઈક આછુંપાતળું અનુસંધાન જોવા મળે છે. તે જ રીતે સ્વરૂપગત
નાવીન્ય ધરાવતી ‘પરાગની નોંધપોથી’ – કૃતિ
(લે. મોહનભાઈ શં. પટેલ) તેમાંની સામગ્રી, સચિત્રતા,
રસાળતા
તથા ગદ્યલહેકાઓને કારણે ધ્યાનાર્હ બને છે. 1997નું આ પ્રકાશન મુદ્રણકલાના વિકાસનું
પણ જાણે કે પ્રતિબિંબ ઝીલે છે.
ગુજરાતી બાલસાહિત્યના વિકાસમાં પ્રારંભથી
અનેક સંસ્થાઓનું યોગદાન રહ્યું છે. ‘દક્ષિણામૂર્તિ’,
‘ગાંડીવ’ વગેરે સંસ્થાનું કાર્ય તો પાયારૂપ હતું જ. આજે ચિલ્ડ્રન્સ
બુક ટ્રસ્ટ, નેહરુ બાલ પુસ્તકાલય, નૅશનલ
બુક ટ્રસ્ટ, હરિ: ૐ આશ્રમ, ચરોતર
એજ્યુકેશન સોસાયટી, ગુજરાતી
સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ અને અનેક ખાનગી પ્રકાશકો આ ક્ષેત્રે કાર્યરત છે.
ગુજરાતી બાલસાહિત્ય એક બીજી રીતે પણ સદભાગી છે કે તેને વિકસાવવામાં પ્રારંભથી
સામયિકોનું નિમિત્ત મળતું રહ્યું છે. 1862થી શરૂ થયેલા ‘સત્યોદય’થી આજ સુધીમાં
અનેક સામયિકો-સાપ્તાહિકોએ આ સંદર્ભે ભૂમિકા પૂરી પાડી છે. અલબત્ત,
‘ગાંડીવ’, ‘બાલજીવન’,
‘કિશોર’ કે ‘રમકડું’ જેવાં સામયિકો હવે નથી એ દુ:ખની વાત છે. છતાંય
‘બાલજગત’, ‘બાલસખા’,
‘નિરંજન’, ‘કુમાર’,
‘ઝગમગ’, ‘બાલસંદેશ’,
‘સબરસ’ જેવાં સાપ્તાહિક-પાક્ષિક-માસિકોએ ઉલ્લેખપાત્ર કાર્ય જરૂર
કર્યું છે. છેલ્લે ગુજરાત રાજ્ય શાળા-પાઠ્યપુસ્તક મંડળ ‘બાલસૃષ્ટિ’ દ્વારા આ
દિશાની ખોટ પૂરી પાડવા પ્રયત્ન કરે છે તે આનંદની વાત છે. એ જ રીતે ‘ગ્રંથ’,
‘પરબ’, ‘કવિલોક’
જેવાં સામયિકોના બાલસાહિત્ય અંગેના વિશેષાંકો પ્રગટ થયા હતા.
ગુજરાત સાહિત્ય અકાદમી સત્વશીલ
બાલકિશોરસાહિત્યના પ્રકાશન માટે અનુદાન આપી તેને વિકસાવવામાં મદદરૂપ થાય છે અને
1986થી દર બે વર્ષે ઉત્કૃષ્ટ બાલસાહિત્યના સર્જન-સંપાદનના સંદર્ભે ‘ગિજુભાઈ બધેકા
સુવર્ણચંદ્રક’ આપે છે. દિલ્હીની NCERT (નૅશનલ
કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ) સંસ્થા દર બે વર્ષે વયજૂથ પ્રમાણે
પુરસ્કાર આપે છે. વડોદરા રાજ્યની પુસ્તકાલય પ્રવૃત્તિનું કાર્ય પણ સ્મરણીય ગણાય.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા શ્રી મોટા પ્રેરિત ‘નીલકંઠ બાલોપયોગી ગ્રંથમાળા’માં
વિષય-સ્વરૂપનું વૈવિધ્ય દાખવતું સત્ત્વવંતું બાલકિશોરસાહિત્ય પ્રગટતું રહે છે.
પરિષદ દ્વારા દર બે વર્ષે નટવરલાલ માળવી, રમણલાલ
સોની અને ઍની સરૈયા પારિતોષિક બાલકિશોરસાહિત્ય માટે અપાય છે. યશવંત મહેતા અને
છગનભાઈ ભૈયાના પુરુષાર્થથી ‘બાલસાહિત્ય અકાદમી’ સક્રિય થઈ,
પરિસંવાદ
યોજી, બાલસાહિત્યકારોનું સન્માન કરી બાલસાહિત્યના વિકાસની દિશામાં
કેટલાંક કાર્યો કરવામાં મક્કમ ડગ માંડી રહી છે.
આમ રૂપાન્તરથી પ્રારંભાયેલ ગુજરાતી
બાલસાહિત્યે આજે ઠીક ઠીક ગજું કાઢ્યું છે. અનેક સ્વરૂપે તે મહોર્યું છે. તેના
વિષયોનો વ્યાપ વિસ્તર્યો છે. કુટુંબ, સમાજ,
ઇતિહાસ-ભૂગોળ,
વિજ્ઞાન,
પર્યાવરણ,
વનસંસ્કૃતિ
અને નગરસંસ્કૃતિ કે ભૂતકાળ અને ભાવિના સંકેતો – આ સર્વ તેણે પોતાનામાં ઝીલ્યાં છે.
સાથે જ મૌલિકતા અને બાલમાનસની અભિવ્યક્તિનો આગ્રહ રાખ્યો છે,
જે
તેના ઉજ્જ્વળ ભાવિનો સંકેત કરે છે.
સાભાર
: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ
ગુજરાતમાં
ભાવનગરે આપણને ગીજુભાઈ, નાનાભાઈ અને હરભાઈ જેવા બાળ કેળવણીકારો આપ્યા છે. વર્તમાન
સમયમાં બાળકોને રસપ્રદ રીતે વાર્તા પીરસનાર “હું છું વાર્તા
કહેનારો” તરીકે જાણીતા ડૉ. દિકપાલસિંહ જાડેજા જેવા વાર્તાકારે બાળ સાહિત્યમાં
પોતાનું અનોખું ખેડાણ કર્યું છે.
ચિલ્ડ્રન્સ
યુનિવર્સિટી (બાળકો માટેની વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી)
ગુજરાત
એ બાળ શિક્ષણની તપોભૂમિ રહી છે ત્યારે ગુજરાતમાં બાળકોને લગતા શિક્ષણ માટે અનેક
પ્રયોગો કરવામાં આવ્યા છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના
પરીપાકરૂપે ગુજરાતમાં વિશ્વની એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના થઇ છે. વડાપ્રધાનશ્રીએ
આપેલું વાક્ય “પ્રત્યેક બાળક મહત્વનું છે.” દ્વારા બાળકનું મહત્વ સમજી શકાય છે.
ચિલ્ડ્રન્સ
યુનિવર્સિટી દ્વારા બાળકો માટે પ્રતિમાસ બાળવિશ્વ વિદ્યાલય નામનું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે.
બાળકોની
સાર સંભાળ
પરિચય
સિગમન્ડ ફ્રોઈડના મતે
“કોઇપણ બાળકના આવનારા વર્ષો તેના બાળપણના અનુભવો પરથી નક્કી કરી શકાય.”પ્રખ્યાત
બાળ મનોવૈજ્ઞાનિક સ્કોફે જણાવ્યું છે કે,
“સારા કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલ બાળકનું વર્તન સારુ હોય છે અને તે કોઈપણની સાથે
અનુકૂલન સાધી લે છે, જ્યારે
ખરાબ કૌટુંબિક વાતાવરણનું બાળક કોઈની સાથે અનૂકૂલન માટે સંવાદીતા સાધી શકતો નથી“.
એટલે બાળકમાં નકલનો ગુણ હોય છે. તે હમેંશા તેણે જોયેલા સમાજના વાતાવરણ મુજબ વર્તે
છે. સામાજિક વાતાવરણમાં બાળક જીવનભરમાં બાળક જે તમામ લોકોને મળે છે તે પણ સંકળાયેલ
છે. જેમાં, પરિવાર, શાળા
અને સાથી સમુહનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે બાળકના
યોગ્ય વિકાસ માટે યોગ્ય સામાજિકરણ જરૂરી છે. જેમાં પરિવાર સામાજિકરણનું મુખ્ય અને
પ્રાથમિક પરિબળ છે. જ્યાં બાળકના ચારિત્ર્યનું ઘડતર થાય છે. બીજુ પરિબળ છે શાળાનું
વાતાવરણ. જ્યાં બાળક તેના જીવનનો પહેલો પડાવ પસાર કરે છે. એટલે કહી શકાય કે બાળકો
માટે શાળા નવા સમાજ તરીકે વર્તે છે. બાળકના સારા અને સર્વાંગિ વિકાસ માટે શૈક્ષણિક
સિદ્ધી, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ આ ત્રણેય પરિબળો દરમિયાન
નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
શૈક્ષણિક
શ્રેષ્ઠતા
બાળકોનું શૈક્ષણિક પ્રદર્શન બાળકે બાળકે
મોટા પાયે બદલાતુ રહે છે. આથી જ ક્લાસરૂમ વિષય પરિમાણ એકમ છે જે હોશિયાર અને નબળા
શીખનારાનો મિશ્રણ છે. ઘણાં વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ જગ્યામાં વાંચન,
લેખન
અને ગણિતમાં તકલીફ પડતી હોય છે. જેને અનુક્રમે ડીકલેક્સિયા,
ડીસગ્રાફિયા
અને ડીસકેલ્ક્યુયા નામે ઓળખાય છે. ભણતરની આ અસમર્થતાનો ઉપચાર છે,
પરંતુ
શિક્ષક અને માતાપિતાનાં સાથ-સહકારથી આવા બાળકોને પણ શૈક્ષણિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ
બનાવી શકાય છે. એક વખત જો શિક્ષક બાળકમાં ભણતરની અસમર્થતાને જાણી લે અને અસમર્થતા
ધરાવતા બાળકોને ઓળખી તેમની સમસ્યાને જાણી,
તેને
અનુરૂપ હોય તેવી સરળ અને વિશેષ ભણતરની પદ્ધતિ અપનાવવી જોઈએ. આ ઉપચારાત્મક
શિક્ષણમાં શિક્ષકે વધારાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તરફ માબાપે પણ પોતાના બાળકની
અસમર્થતાને સ્વિકારી તે મુજબ બાળક સાથે આદાનપ્રદાન કરવુ જોઈએ.
માતાપિતાનો
દ્રષ્ટિકોણ
બાળકોના શૈક્ષણિક ધ્યેય વાસ્તવિક અને પૂરા
થઈ શકે તેવા હોવાં જોઈએ. પરંતુ માતાપિતા બાળકની ઈચ્છાઓને ન જોતા પોતાની
આકાંક્ષાઓનો આગ્રહ રાખે છે. મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળ્યુ છે કે મા-બાપ અન્ય
સાથે પોતાના સંતાનોની સરખામણી કરે છે. બાળકના શૈક્ષણિક વિકાસમાં આ પ્રકારની સારવાર
મળતા તેમનું વર્તણૂક આક્રમક બનતું જાય છે. તો વિવિધતાપૂર્ણ સિદ્ધીઓ અચાનક ઘટતી જાય
છે. બાળકનો માતાપિતા સાથેનો સંબંધ ગાઢ બનવાને બદલે બાળક વ્યક્તિગત થઈ જાય છે.
માબાપ આ સત્ય જાણતા નથી. માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ બાળકના સફળ જીવન માટે નિર્ણાયક
પરિબળ નથી. પરંતુ તે સફળતા અને નિષ્ફળતાને નક્કી કરનાર પરિબળ છે. આથી માતાપિતાએ:
·
બાળકની જરરૂરિયાત,
ભાવના
અને અપેક્ષાને સમજવી.
·
નિષ્પક્ષ રહેવાની સાથે બાળકની અન્ય
સાથે સરખામણી ન કરવી.
·
બાળકો સાથે આરામદાયક,
મુક્ત
અને મૈત્રીપૂર્વક રહો.
·
બાળકની હાજરીમાં તેની જ ચર્ચા
કરવાનું ટાળો.
શિક્ષકોનો
દ્રષ્ટિકોણ
શિક્ષકો એ સ્વિકારવા
તૈયાર નથી હોતા કે સામાન્ય દેખાતા બાળકમાં પણ ભણતરની સમર્થતા હોય શકે. મોટાભાગના
એવું માનતા હોય છે કે સુસ્ત, આળસુ,
બેફિકર
અને બેધ્યાનપણું તેઓની ભણતરની અસમર્થતા દર્શાવે છે. જેના કારણે સારા શૈક્ષણિક
પ્રદર્શન માટે તેઓ બાળકોને હેરાન કરવાની સાથે શિક્ષા કરે છે. પરંતુ શિક્ષકે મોટી
જવાબદારી લઈને જે બાળકો ભણતર પ્રત્યે અસમર્થ હોય તેઓને ઉપચારાત્મક મદદ કરવી જોઈએ.
બીજી તરફ આજે છાશવારે જોવા મળે છે કે, વાલીઓ
શિક્ષકો પર દૂર્વ્યવહારના આરોપ કરે છે. જેના કારણે કેટલાક શિક્ષકોની બદલી થાય છે,
કેટલાક
સસ્પેન્ડ તો કેટલાક સામે કાનુની કાર્યવાહી પણ થાય છે. ઉલટાનું શિક્ષકો દલિલ કરે છે
કે સારા શિક્ષણ માટે તેઓ બાળકોને સજા કરે છે પણ તેઓનો આશય સારો હોય છે. જ્યારે
શિક્ષકને તેની આક્રમકતા બદલ સજા થાય છે. ત્યાર બાદ પણ શિક્ષકો તરફથી સકારાત્મક
પરિવર્તન આવતંય નથી. વધુમાં શિક્ષકોએ કર્મચારી આધારીત ન બનતા પ્રદર્શન આધારિત
બનવું જોઇએ.
વિદ્યાર્થીઓ
સાથે અસરકારક સબંધો બનાવવા શિક્ષકોએ…
·
હકારાત્મક બનવું.
·
સજાને ટાળવી.
·
સારા શ્રોતા બની બાળકોને
પ્રોત્સાહિત કરવા.
·
ઉપચારાત્મક મદદ કરવા મોટી જવાબદારી
લેવી.
સામાજિક
વિકાસ
શારીરિક યોગ્યતાની જેમ સામાજિક યોગ્યતા પણ
જીવનમાં વ્યક્તિગત વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો,
સહપાઠી
અને માધ્યમો બાળકો પર મોટી અસર પાડે છે. આથી બાળકોને સામાજિક સક્ષમ બનાવવા માટે
સહપાઠી અને સંબંધીઓ સાથે આદાનપ્રદાનનું પૂરતું વાતાવરણ આપો. બાળકને પસંદ ન હોય
તેવી પણ અનેક નવી વસ્તુ સ્વિકારે છે અને નવી પરિસ્થિતિ અને ઘટનાઓનો સામનો કરે છે.
માતાપિતાની
ભૂમિકા
માતાપિતા બાળક માટે આદર્શ
હોય છે. જેથી આરામદાયક, મુક્ત
અને મિત્રતાભર્યો વ્યવહાર બાળક સાથે રાખો. માતાપિતા બાળકના મુલ્યો અને
લક્ષ્યાંકોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ધ્યાન રાખો લક્ષ્યાંકો
વાસ્તવિકતા આધારિત હોય નહીં કે કાલ્પનિકતાને આધારિત. માતાપિતાએ રોજિંદા જીવનમાં જે
પડકારો આવે છે તેમાં માર્ગદર્શક બનવુ જોઈએ અને બાળક પાસે નૈતિક મુલ્યોનો આગ્રહ
રાખવો જોઈએ.
·
બાળકને માત્ર ખોરાક,પાણી
અને છતની જ મુખ્ય જરુરિયાત નથી પરંતુ તેની સાથે જરુર છે ઉપર છે.
·
બાળકને જરુર છે તેમની સાથે વાત
કરનારુ અને તેમના ધ્યેય, આશા
અને સમસ્યાઓને સાભળનારુ. જેથી માતાપિતાએ રોજ બાળક સાથે ચર્ચા કરવી જોઇએ.
·
બાળકની અન્ય મુખ્ય જરુરીયાત છે
મિત્રો જે વિશાળતાની સાથે તેના જીવનમાં મોટો બદલાવ લાવે છે. બાળક તેવી વ્યક્તિ
શોધતુ હોય જેનો ગમો અણગમો અને ઇચ્છા તેના જેવી જ હોય. પરંતુ એક કહેવત છે કે ખરાબ
સાથ સારાનું પતન કરે છે એટલે માબાપે બાળકના સાથી મિત્રો પર પણ નજીક દેખરેખ રાખવી
જોઇએ.
·
બાળકો માટે જરુરી છે પોતાની ઓળખ
ઉભી કરવીની. જેના માટે વિશિષ્ટ લક્ષણો કેળવવા પાડે જેના કારણે તે અન્ય બાળકોથી અલગ
દેખાઇ. બાળકોમાં વિશેષ અને પોતાને દર્શાવવાની અનોખી સુઝ હોય છે. જેથી માબાપે તેના
બાળકને પ્રોત્સાહિત કરવાની સાથે સાચા નિયમોથી અવગત કરાવવા જોઇએ.
શિક્ષકની
ભૂમિકા
બાળકનો લાગણીશીલ વિકાસ
શિક્ષણના અનુભવો, બુદ્ધિમતા
અને પરિપક્વતા પર આધારિત હોય છે. જો કે શિક્ષક માત્ર બુદ્ધિમતા માટે ધ્યાને લઈ
શકાય પરંતુ તેને ભાગ્યે જ લાગણીશીલ પરિબળ માનવામાં આવે છે. તે આતંર્મુખી કે
બહિર્મુખી પ્રતિભા જ્યાં લાયક હોય ત્યાં નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે. શિક્ષકે
બાળકની પ્રતિભા અને સર્જનશક્તિને આવકારવા અને પ્રોત્સાહિત કરવા જોઈએ જેના માટે
દરેક બાળકનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે.
બાળકનો લાગણીશીલ વિકાસ
શિક્ષણના અનુભવો, બુદ્ધિમતા
અને પરિપક્વતા પર આધારિત હોય છે. જો કે શિક્ષક માત્ર બુદ્ધિમતા માટે ધ્યાને લઇ
શકાય પરંતુ તેને ભાગ્યે જ લાગણીશીલ પરિબળ માનવામાં આવે છે. તે આતંર્મુખી કે
બહિર્મુખી પ્રતિભા જ્યાં લાયક હોય ત્યાં નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે. શિક્ષકે
બાળકની પ્રતિભા અને સર્જનશક્તિ આવકાર અને પ્રોત્સાહિત કરવા જેના માટે દરેક બાળકનો
ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે.
લાગણીશીલ
વિકાસ
દરેકના દિમાગમાં લાગણી
એક સામાન્ય પરિબળ છે. અલગ અલગ માણસોમાં અલગ અલગ લાગણીની ગણતરી હોય છે. એવા કેટલાય
પરિબળો છે જે આપણી લાગણીઓને કાબૂમાં રાખે છે. શિક્ષક અને માતાપિતા લાગણીશીલ
વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ભય, ગુસ્સો,
ઈર્ષા
અને પ્રેમ બાળકમાં આ સામાન્ય લાગણીઓ હોય છે. આ લાગણીઓ બાળકના લાગણીશીલ વિકાસમાં
મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ કેટલાક પરિબળો જેવા કે થાક,
આરોગ્ય,
બુદ્ધિમતા,
સામાજિક
સંજોગો અને પારિવારીક સંબંધો બાળકના લાગણીશીલ વિકાસમાં અસર કરે છે.
મફત
અને ફરજિયાત બાળ શિક્ષણ અધિનિયમ- ૨૦૦૯
પ્રારંભિક
પરિચય:
૬થી ૧૪ વર્ષના વર્ષના બાળકોને મફત તથા
ફરજિયાત/અનિવાર્ય શિક્ષણની જોગવાઇવાળું વિધેયક સંસદનાં બંને સત્રોમાં જુલાઇ-ઓગસ્ટ-
૨૦૦૯માં પસાર કરવામાં આવેલું અને આ વિધેયકને રાષ્ટ્રપતિએ ઓગસ્ટ-૨૦૦૯માં મંજુરીની
મહોર મારી. આ અધિનિયમને એપ્રિલ-૨૦૧૦થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો. આ
સંબંધમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો ફાળો/ગુણોત્તર ૬૫:૩૫ રાખવામાં આવ્યો છે. પૂર્વોત્તર
રાજ્યો માટે આ ફાળો કેન્દ્ર/રાજ્યનો ૯૦:૧૦ રાખવામાં આવ્યો છે.
મફત/વિના
મૂલ્યે:
અહીં મફત શબ્દનો અર્થ વ્યાપક છે અને તેની
વ્યાખ્યાની રીતે જોઇએ તો બાળકોને શાળાથી વંચિત રાખવામાં ભાગ ભજવતા નાણાકીય અવરોધો
જેવા કે શાળાની ફી, પુસ્તકો,
સ્ટેશનરી,કપડાં,
પરિવહન
અથવા અન્ય કોઇ પણ ખર્ચા જે શાળાકીય શિક્ષણ મેળવવા કરવા પડે અને જેને કોઇ પણ
સૂચિમાં સ્થાન ન મળ્યું હોય તે ખર્ચાઓ ભરપાઇ કરવાની સરકારની ભૂમિકા/કર્તવ્ય બની
રહેશે.
અનિવાર્ય/ફરજિયાત:
ફરજિયાતનો મતલબ આ શિક્ષણના અધિકારને બંધારણના
અનુચ્છેદ ૨૧અ હેઠળ મૌલિક અધિકારના રૂપમાં વ્યાખ્યાયિત કરાયો છે તે મુજબ અધિનિયમમાં
સમાવિષ્ટ જોગવાઇઓને લાગુ કરવાનું સરકાર માટે બંધનકર્તા રહેશે.
બાળ-શિક્ષણ
:
આ અધિ. મુજબ સમગ્ર દેશના ૬થી ૧૪ વર્ષની
ઉંમર ધરાવતા બાળકોના પ્રાથમિક શિક્ષણના અધિકારને મૌલિક અધિકારના સ્વરૂપમાં પ્રદાન
કરવો. આ અધિનિયમ ૧ એપ્રિલ, ૨૦૧૦થી
સમગ્ર દેશમાં લાગુ કરાયો છે. બંધારણના ૮૬માં બંધારણ સંશોધન (સુધારા) અધિનિયમ
(૨૦૦૨)ના દ્વારા બંધારણના અનુચ્છેદ ૨૧માં ૨૧(અ) જોડવામાં,
ઉમેરવામાં
આવ્યો અને તેમાં જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકારો ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત અને
ફરજિયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. આ જ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે કદમ ભરીને ૨૦૦૯માં આ
અધિનિયમ બનાવીને એક નવી દિશા ખોલી.
જોગવાઇઓ
:
આ અધિનિયમની મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે :
·
૬થી ૧૪ વર્ષના પ્રત્યેક બાળકને મફત
અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
·
આવા બાળકોને ૮મા ધોરણ સુધીનું
શિક્ષણ નજીકની શાળામાં પ્રાપ્ત થાય તે જોવાની સરકારની જવાબદારી છે.
·
તમામ કેન્દ્રિય વિદ્યાલય,
જવાહર
નવોદય વિદ્યાલય, સૈનિક સ્કૂલ તેમજ અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ઓછામાં ઓછાં ૨૫ ટકા
સ્થાન/જગ્યાઓ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગના લોકો માટે રહેશે.
·
પ્રત્યેક બાળક શાળાએ જાય એ
જવાબદારી સર્વે શાસકો અને સ્થાનિક અધિકારિતાની રહેશે.
·
ચૂંટણી,
વસ્તી
ગણતરી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવાય શિક્ષકોને કોઇ અન્ય કાર્યોમાં ફરજ નહીં
સોંપાય.
·
ટ્યૂશન પ્રથા પર પ્રતિબંધ.
ફાયદા
:
આ અધિનિયમના અમલથી નીચેના લાભો થઇ શકે છે:
·
પ્રત્યેક બાળકોને શિક્ષણ પ્રાપ્ત
થશે અંતે સાક્ષરતા દરમાં વૃદ્ધિ થશે.
·
પ્રત્યેક બાળકની નજીકના વિસ્તારમાં
પ્રાથમિક શાળાની ઉપલબ્ધતા.
·
બાળકો-શિક્ષકો વચ્ચે સંપર્કો
સુધરવાથી પ્રાથમિક શિક્ષણમાં સંખ્યાત્મકની સાથે ગુણાત્મક સમૃદ્ધિ વધશે.
·
૬-૧૪ વર્ષના બાળકોને સમાવિષ્ટ
કરવાથી કન્યા કેળવણીમાં વૃદ્ધિ થશે.
·
બાળ મજુરી,
બાળવિવાહ
જેવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે.
·
શિક્ષણનો અધિકાર મૌલિક અધિકાર
હોવાથી તેમજ અનુચ્છેદ ૨૧(A)માં
સમાવિષ્ટ હોવાને કારણે સામાન્ય સ્થિતિ ઉપરાંત કટોકટી કાળમાં પણ છીનવી ન શકાય.
·
ગરીબ બાળકો માટે ખાનગી શાળાઓમાં પણ
૨૫ ટકા અનામત, પરિણામે સામાજિક-વિકાસની સંકલ્પના પરિપૂર્ણ થશે.
·
માનવ સંશાધનના વિકાસથી અન્ય બાકી
સંશાધનોનો આપોઆપ વિકાસ.
All the best